જીવનમાં લક્ષ નક્કી કરી આગળ વધશો તો ચોક્કસ સફળ થશો – નાયબ મુખ્ય દંડક
રાજ્યભરમાં “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” પર આયોજિત શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીએ જેતપુરપાવી તાલુકાના શિથોલ પ્રાથમિક શાળા, શાસ્ત્રી વિદ્યાલય હાઈસ્કુલ અને વી.આર.શાહ જેતપુર હાઈસ્કુલ મળી કુલ ૯૪૫ ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી, મો મીઠું કરાવી ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવ્યો હતો. નાયબ મુખ્ય દંડકએ પ્રથમ વખત શાળાનું પગથિયું ચઢતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
જેતપુરપાવી તાલુકાના શિથોલ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ૮ અને આંગણવાડીમાં ૪ એમ કુલ ૧૨ બાળકો, શાસ્ત્રી વિદ્યાલય હાઈસ્કુલ ખાતે ધો.૯ માં ૧૬૪ અને ધો ૧૧માં ૧૨૨ અને અને વી આર શાહ જેતપુર હાઈસ્કુલમાં બાલવાટિકામાં ૨૦, ધો.૧માં ૩૯, ધો ૯માં ૨૮૨, ધો ૧૧માં ૨૮૬ મળી એમ કુલ ૯૪૫ ભૂલકાઓ અને શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકએ બાળકો અને વાલીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, જીવનમાં આવળ વધવું હોય તો લક્ષ નક્કી કરી આગળ વધશો તો ચોક્કસ સફળ થશો. જીવનમાં આગળ વધવું હોય તો વાંચન અને લેખન મહત્વ આપવું જોઈએ. તેઓએ વિધાર્થીઓને પર્યાવરણનું રક્ષણ, વીજળીનો યોગ્ય ઉપયોગ, પાણીની બચત અને સ્વચ્છતાને તેમના જીવનનો ભાગ બનાવવા જણાવ્યું હતું. આધુનિક યુગમાં મોબાઈલથી દૂર રહી પુસ્તકને પ્રથમ મિત્ર બનાવવા વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્ય દંડકશ્રીએ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. નાયબ મુખ્ય દંડકશ્રીએ શાળાના એસએમસીના સભ્યો સાથે મિટિંગ કરી શાળામાં રહેલી સુવિધાઓની જાણકારી મેળવી હતી તેમજ વધુ સુવિધાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે બરોડા ડેરીના ડિરેક્ટર રણજીતસિંહ રાઠવા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નારસિંગભાઈ રાઠવા, સીઆરસી સંજયભાઈ, શાળાના આચાર્યઓ, સરપંચઓ, શાળાના સ્ટાફ, એસએમસીના સભ્યો, ગામના અગ્રણીઓ, વાલીઓ, ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

