વડોદરા એરપોર્ટ પર ઇન્ડિગોની અવ્યવસ્થાનું સંકટ વધુ ઉંડું બનતું જાય છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ 3 ડિસેમ્બરથી લઇને આજ તારીખ સુધી કુલ 30 ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે. હાલની પરિસ્થિતિને જોતા આવનારા 15 ડિસેમ્બર સુધી પણ વધુ ફ્લાઇટ્સ રદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
માત્ર આજે જ ઇન્ડિગોની ચાર ફ્લાઇટ્સ રદ થતા મુસાફરોની મુશ્કેલીઓ વધુ વધી ગઈ હતી. એરપોર્ટ પર સામાન પહોંચાડવાની પ્રક્રિયા પણ અસરગ્રસ્ત થઈ છે. અત્યાર સુધી 36 મુસાફરોનું બેગેજ પહોંચાડી દેવામાં આવ્યું છે, જ્યારે બાકી રહેલું બેગેજ પણ જલદીથી મોકલાશે તેવી ખાતરી એરપોર્ટ અધિકારીઓએ આપી છે.
ઇન્ડિગોની અવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મુસાફરોને રાહત મળે તે માટે એરપોર્ટ ઓથોરિટીએ ત્રણ વધારાની ફ્લાઇટ્સ શરૂ કરી છે. ઉપરાંત એર ઇન્ડિયાએ નવી ફ્લાઇટ સર્વિસ શરૂ કરી છે જેથી મુસાફરોને સફરમાં અવરોધ ન પડે.
જેટલી ફ્લાઇટ્સ અત્યાર સુધી કેન્સલ થઈ છે, તેમના રિફંડની સંપૂર્ણ ચૂકવણી થઈ ગઈ હોવાનું પણ એરપોર્ટ ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે.
મુસાફરો હવે ઇન્ડિગોની સ્થિતિ ક્યારે સુધરે છે અને નિયમિત સેવા ફરીથી ક્યારે શરૂ થશે તેની રાહ જોઈ રહ્યા છે.

