વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલા કરોડિયા ગામ તથા તેની આસપાસની સોસાયટીઓના રહીશોએ આજે કોર્પોરેશન કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કરોડિયા ગામ, શ્રીરામનગર, રામનગર, સંતોષીનગર અને દેસાઈપુરા વિસ્તારમાં ગટરના પાણીથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા હોવાનું રહીશોએ જણાવ્યું હતું.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કેટલાક ઘરોમાં બીમારી ફેલાઈ રહી છે અને આ સમસ્યા અંગે સ્થાનિક કાઉન્સિલરો તેમજ ધારાસભ્યને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે નેતાઓ માત્ર ચૂંટણી સમયે મત માંગવા આવે છે અને બાદમાં વચનો ભૂલી જાય છે.
એક તરફ વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરવામાં આવે છે અને નાગરિકો પાસેથી પૂરો વેરો વસૂલવામાં આવે છે, ત્યારે બીજી તરફ પાયાની સુવિધાઓના નામે ગંદકી અને દુર્ગંધ સિવાય કંઈ મળતું નથી, તેવી નારાજગી સ્થાનિકોએ વ્યક્ત કરી હતી.
મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં એકત્ર થઈ કોર્પોરેશન કચેરી પહોંચ્યા હતા અને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ તાત્કાલિક નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.

