નસવાડી ખાતે આવેલા પશુપતિનાથ મહાદેવ મંદિર સામે વર્ષોથી બંધ હાલતમાં પડેલો હેડપંપ સ્થાનિક જાગૃત યુવાનોના પ્રયાસોથી ફરી કાર્યરત બન્યો છે. આવનારી મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને ગામના યુવાનોએ સામૂહિક પહેલ કરી આ કામગીરી પૂર્ણ કરી છે.
મળતી માહિતી મુજબ, મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોવાથી પાણીની જરૂરિયાત વધે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અલ્કેશ તડવી, ચિરાગ ગુપ્તા, અતુલ શર્મા સહિત ગામના આગેવાનો અને યુવાનો એકત્ર થયા અને વર્ષોથી બંધ પડેલા હેડપંપને ફરી શરૂ કરાવ્યો.
સ્થાનિકોમાં આ કામગીરીને લઈ આનંદ અને પ્રશંસાનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે હેડપંપ શરૂ થતાં મહાશિવરાત્રીના દિવસે ભક્તોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ રહેશે.
ગામના આગેવાનોનું માનવું છે કે આવી સામાજિક કામગીરીમાં યુવાનોની સક્રિય ભાગીદારી ગામના વિકાસ માટે સકારાત્મક સંકેત સાબિત થાય છે.

