વડોદરા શહેરમાં તિરંગા ગ્રુપ તથા વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખાના સંયુક્ત આયોજન હેઠળ ભવ્ય રક્તદાન મહાદાન કાર્યક્રમ યોજાયો હતો. સમાજ સેવા અને માનવતા ના ઉદ્દેશ સાથે યોજાયેલા આ મહાયજ્ઞમાં શહેરના અંદાજે 60 જેટલા ગણેશ મંડળોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ દરમિયાન આશરે 600 યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. યુવાનો, સેવાભાવી નાગરિકો તથા વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરીને માનવસેવાનો અનોખો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે ષષ્ઠપીઠાધિશ્વર પૂ.પા.ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ, યુવાવૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ શ્રી શરણમકુમારજી મહોદય, કોઠારી શ્રી ધનશ્યામસ્વરૂપદાસ શાસ્ત્રી (વાડી સ્વામિનારાયણ મંદિર), તેમજ ISKCON મંદિરના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી, એડવોકેટ હિતેશ ગુપ્તા અને તિરંગા ગ્રુપના પ્રમુખ તથા કાર્યકર્તાઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
બાજવાડા સ્થિત કલ્યાણ પ્રસાદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધ્વનિ બ્લડ સેન્ટર દ્વારા તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આગેવાનો દ્વારા રક્તદાનને “મહાદાન” ગણાવી વધુમાં વધુ લોકોને આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી.

