વડોદરા શહેરના ગીચ વિસ્તાર ગણાતા દૂધવાળા મહોલ્લામાં આજે અચાનક એક વર્ષો જૂનું અને જર્જરિત મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટનાથી વિસ્તારમાં થોડા સમય માટે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાટમાળ નીચે દબાવાથી વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે.
મળતી માહિતી મુજબ, દૂધવાળા મહોલ્લામાં આવેલું આ મકાન લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હતું. આજે અચાનક મકાન પડતાં જોરદાર અવાજ સાથે ધૂળના વાદળો છવાઈ ગયા હતા. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે મકાન ધરાશાયી થવાના થોડા સમય અગાઉ જ ત્યાંથી મદ્રેસા જઈ રહેલા બાળકો પસાર થયા હતા. જો આ ઘટના થોડા મિનિટો વહેલી ઘટી હોત તો મોટી હોનારત સર્જાઈ શકી હોત.
ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડ તેમજ MGVCLની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સુરક્ષાના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો અને કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કાટમાળ નીચે પાર્ક કરેલી મોટરસાયકલ અને અન્ય વાહનો દબાઈ જતા માલિકોને આર્થિક નુકસાન થયું છે. સાથે જ સામેના મકાનની દિવાલને પણ આંશિક નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મકાનના માલિક મોહમદ હુસેને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તેમણે અગાઉ બે વખત કોર્પોરેશનની નિર્ભયતા શાખામાં આ બાબતે રજૂઆત કરી હતી. તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હોવા છતાં પારિવારિક આંતરિક વિખવાદના કારણે મકાન તોડવાની કાર્યવાહી થઈ શકી નહોતી.
સ્થાનિક રહીશોએ ભગવાનનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે આજે સૌના જીવ બચી ગયા છે. તેમનું કહેવું છે કે શહેરમાં હજુ પણ અનેક આવા જર્જરિત મકાનો છે, જે ગમે ત્યારે જીવલેણ સાબિત થઈ શકે છે. આથી, તંત્ર દ્વારા આવા જોખમી મકાનો સામે વહેલી તકે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી રહી છે.

