સાવલી તાલુકાના લસુંદ્રા રોડ પર આવેલી શાર્પ પેટ્રોકેમ નામની કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવતાં વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
માહિતી અનુસાર આજે વહેલી સવારે કંપનીમાંથી ગેસ લીકેજ થવાની બુમો ઉઠતા તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટના અંગે જાણ થતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), ડિઝાસ્ટર ટીમ અને ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
બપોરે લગભગ 4 વાગ્યાના આસપાસ અધિકારીઓની હાજરી દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. કંપની હાલમાં બંધ હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ ત્યાં વિવિધ પ્રકારના સોલ્વન્ટના બેરલ રાખવામાં આવ્યા હતા.
સ્થળ પર જ્વલનશીલ પદાર્થોનો જથ્થો હોવા છતાં કંપનીમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આગ લાગવાના ચોક્કસ કારણો અને કંપનીમાં રહેલા મટીરિયલ અંગે તપાસ ચાલુ છે.
આ સમગ્ર મામલે મંજુસર પોલીસ સ્ટેશન દ્વારા ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આગના કારણે આસપાસના વિસ્તારમાંથી પસાર થતાં રાહદારીઓને ગળામાં ચચરાટ, આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદો પણ નોંધાઈ હતી.

