વડોદરા શહેરના ગુરુકુળ ચાર રસ્તા નજીક આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી રામ નવમીના પાવન અવસરે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન શ્રી કષ્ટભંજનદેવ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.
સમિતિ દ્વારા વર્ષ 2008થી સતત રામ નવમીના દિવસે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમની શરૂઆત નવચંડી યજ્ઞથી કરવામાં આવી હતી, ત્યારબાદ સાંજે મહાપ્રસાદ રૂપે ભોજનની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ વર્ષે અંદાજે 7000થી વધુ ભક્તો માટે પ્રસાદીની તૈયારી કરવામાં આવી હતી. પ્રસાદી સમિતિ દ્વારા જાતે જ હાઈજિનિક નિયમોનું પાલન કરીને તૈયાર કરવામાં આવે છે. પ્રસાદી વિતરણ બાદ સફાઈ વ્યવસ્થાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
સમિતિ દ્વારા ટ્રાફિક નિયંત્રણથી લઈને મહાપ્રસાદ સુધી તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે સંચાલિત કરવામાં આવી હતી. સેવા ભાવથી જોડાયેલા સ્વયંસેવકો તન, મન અને ધનથી નિસ્વાર્થ સેવા આપી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
મંદિર ખાતે દૂર દૂરથી ભક્તો પોતાના કષ્ટોના નિવારણ માટે કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરવા આવે છે. શ્રી રામ નવમીના અવસરે ભક્તોની ભીડ વિશેષ પ્રમાણમાં જોવા મળી હતી, છતાં સમિતિ દ્વારા ભક્તોને કોઈ તકલીફ ન પડે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી હતી.
ભક્તોએ ભાવપૂર્વક દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ સર્જાયો હતો.

