જૂનાગઢ જિલ્લાના વિસાવદર શહેરમાં રામનવમી તથા સ્વામિનારાયણ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા સંયુક્ત રીતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રા રામમંદિર ચોકથી પ્રારંભ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી રામમંદિર ખાતે પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું.
વિશેષ નોંધનીય બાબત એ રહી કે વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે મુસ્લિમ સમાજ દ્વારા પણ શરબત વિતરણ કરવામાં આવ્યું હતું, જે સમાજમાં સૌહાર્દ અને એકતાનો સુંદર સંદેશ આપે છે.
આ પ્રસંગે શહેરમાં ધાર્મિક અને સામાજિક એકતાનો માહોલ સર્જાયો હતો અને તહેવાર ભવ્યતા સાથે ઉજવાયો હતો.

