છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ‘વિરાટ હિન્દુ સંમેલન’ અંતર્ગત આજે ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના યુવાનો, અગ્રણીઓ અને શ્રદ્ધાળુઓ કેસરીયા સાફા અને ધ્વજ સાથે ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
બાઈક રેલી નગરના મુખ્ય બજાર સહિત વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. રેલી દરમિયાન “જય શ્રી રામ” અને “હર હર મહાદેવ”ના ગગનભેદી નારા સાથે સમગ્ર નગરમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. માર્ગમાં અનેક સ્થળોએ ફૂલહારથી રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ પોલીસ કાફલો સમગ્ર રેલી સાથે તૈનાત રહ્યો હતો.
નગર ભ્રમણ બાદ રેલી પ્રસિદ્ધ બાપાસીતારામ મંદિરે પહોંચી હતી, જ્યાં તે જાહેર સભામાં પરિવર્તિત થઈ હતી. મંદિરના પટાંગણમાં યોજાયેલી સભામાં સંતો અને સામાજિક અગ્રણીઓએ હિન્દુ એકતા અને સંગઠન અંગે પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા.
નસવાડી તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા હતા. શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ પૂર્ણ થતાં તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

