આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પુનિયાવાંટ મોડેલ સ્કૂલની મુલાકાત લીધી હતી.
સરકારે કરેલ શિક્ષકો અને સ્ટાફની ભરતી સામે ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો કર્યા હતા. હિન્દી ભાષી શિક્ષકો અને સ્ટાફ કેવી રીતે અમારા આદિવાસી બાળકોને ભણાવશે તેવો સવાલ ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાંટ ગામે આવેલ આદિજાતિ સંચાલિત શાળામાં ચાર દિવસ પહેલા અચાનક બાળકો બીમાર પડતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. 116 જેટલા બાળકો બીમાર થયા તેના માટે આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી હતી. પરંતુ બીમાર પાડવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ત્યારે આ મુદ્દે હવે રાજકીય રંગ જોવાઇ રહ્યો છે. બે દિવસ પહેલા વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા આ સ્કૂલની મુલાકાત લીધી હતી. ત્યારે અચાનક તેવો રસોડામાં ગયા ત્યારે લોટમાં જીવાત,સડેલા શાકભાજી,અને ચારો તરફ ગંદકીને લઇ સરકાર ઉપર આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા એ આ શાળામાં મુલાકાત લીધી હતી.ત્યારે તેમને બીમારીનું કારણ વાયરલ ઇન્ફેક્શન ગણાવ્યું હતું. હવે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવા અચાનક આ શાળાની મુલાકાતે આવ્યા હતા. તો તેમની સામે ચોંકાવનારી વિગત સામે આવી હતી.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે શાળા સંકુલમાં આવ્યા હતા. તો અહી દરેક શિક્ષક હિન્દી ભાષી હતા તેમને ગુજરાતી આવડતું ન હતું. આ શાળામાં જે બાળકો અભ્યાસ કરવા આવે છે. તે આદિવાસી સમાજના બાળકો હોઈ તેમને હિન્દી ભાષા ખાસ આવડતી ના હોય કેટલાક બાળકોએ ધારાસભ્યને ફરિયાદ કરી કે તેઓ હિન્દીમાં બોલે છે. તેમને સમજમાં આવતી નથી.

શાળાના દરેક શિક્ષકોને બોલાવવામાં આવ્યા તેમને ગુજરાતીનું જ્ઞાન ન હતું. તેમને જે ગુજરાતી ના પાઠ્ય પુસ્તક આ શાળામાં આપવામાં આવ્યા છે. તે કેમ કરીને બાળકો ને ભણાવતા હશે. તે બાબતે શિક્ષકોના પાઠ લીધા શિક્ષકોને પાઠ્ય પુસ્તકના પાઠને વાંચવા કહ્યું, તો તે વાંચી શક્યા નહિ. જેથી ચૈતર વસાવા એ સરકાર આદિવાસી લોકોના બાળકો સાથે અન્યાય કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. અહી વોર્ડન પણ હિન્દી ભાષી છે.

ધારાસભ્યએ શિક્ષકો સાથે પાઠ લીધા બાદ જ્યાં બાળકોને જમવા નું બનાવવામાં આવે છે. ત્યાં પહોંચ્યા અને જે મેનુ દીવાલ ઉપર લગાડવામાં આવ્યું છે. ત્યાં પહોંચ્યા તો મેનુ પ્રમાણે ભોજન બનાવવામાં આવ્યું ન હતું. ભોજન બનાવનાર સંચાલકે જણાવ્યું કે જે શાકભાજી આવે છે. તે મહેસાણાથી એક બે દિવસના આતરે આવે છે. જ્યારે કેટલાક લોકોએ ચૈતર વસાવાને જણાવ્યું હતું કે અઠવાડિયામાં એક વાર શાકભાજી આવે છે. ચૈતર વસાવા એ જણાવ્યું હતું કે શું છોટાઉદેપુર જિલ્લામાં શાકભાજી નથી મળતી.? તો છેક મહેસાણાથી મંગાવી પડે છે. ચૈતર વસાવાએ ચીમકી પણ ઉચ્ચારી છે. કે જો આવનારા સમયમાં યોગ્ય તપાસ કરવામાં નહિ આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. અને સરકારમાં પણ રજૂઆત કરશે.
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

