વડોદરામાં તંત્રની બેદરકારીના કારણે છેલ્લા કેટલાક સમયમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તેના વિરુદ્ધમાં આજે આમ આદમી પાર્ટીએ એક કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા, મહિલા પ્રમુખ જાનવીબા ગોહિલ,આનંદ ઓઝા, પિયુષ રામાણી, શશાંક ખરે, રિયાઝ શેખ, વિનય ચૌહાણ, મંજુલાબેન, આનંદ શુક્લા હિતેશ પરમાર,અશોક દેસાઇ રાજેશ, માળી અને વિઠ્ઠલ આયરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતા અશોક ઓઝાએ જણાવ્યું હતું કે, વડોદરાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની બદલી ગાંધીનગરમાં થતા વડોદરા શહેરના 15 જેટલા કોર્પોરેટરો ગાંધીનગર જઈને દિલીપ રાણાને શુભેચ્છાઓ આપવી આવે છે, પરંતુ તંત્રની અને ખાસ કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે વડોદરામાં અવારનવાર જે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, તે લોકોના પરિવારોને મળવા માટે કે આશ્વાસન આપવા માટે આ કોઈ પણ કોર્પોરેટરો પાસે સમય નથી.
હરણી તળાવ બોટ કાંડ દરમિયાન તંત્ર તરફથી એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે શિક્ષિકા સેલ્ફી લેવા ગયા અને બેલેન્સ ગુમાવી દેતા બોટ ઊંઘી થઈ ગઈ. પરંતુ આ કોઈ જવાબદારી ભરેલું સ્ટેટમેન્ટ નથી. અને આ ઘટના ફક્ત એક સેલ્ફીના કારણે થઈ હોય તેવું પણ માનવામાં આવતું નથી. કારણ કે હરણી તળાવ બોટ કાંડ સિવાય પણ અનેકવાર નિર્દોષ નાગરિકોના મોત થયા છે અને જેમાં તંત્રની ભૂલના કારણે મોત થયા હોય તેવું સ્પષ્ટપણે દેખાતું હોય છે. વડોદરાના મેયરના કાર્યકારમાં અનેક વાર નિર્દોષ નાગરિકો અને બાળકોના મોત થયા એ મુદ્દા પર આજે કેટલાક આંકડા રજૂ કરીશું.
વડોદરામાં ડોર 2 ડોર ગાડીની ટક્કરથી અત્યાર સુધી પાંચ બાળકોના મૃત્યુ થયા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. વારંવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે, તેમ છતાં પણ કોર્પોરેશન નાગરિકોની સુરક્ષા માટે ગંભીર થઈ રહ્યું નથી. ગયા વર્ષે વડોદરામાં જે પુર આવ્યું હતું તેમાં 12 નાગરિકોના મૃત્યુ થયા હતા, જેમાં પણ સ્પષ્ટપણે તંત્રની બેદરકારી દેખાય છે. આ સિવાય કમાટીબાગમાં જોય ટ્રેનની ટક્કરથી એક બાળકનું મૃત્યુ થયું હતું તો આમાં પણ જવાબદારી પણ તંત્રની છે. આ સિવાય બહુચર્ચિત હરણી તળાવ બોટ કાંડમાં 12 બાળકો અને બે શિક્ષિકાના મૃત્યુ થયા હતા અને આ ઘટનાને 18 થી વધુ મહિના થઈ ગયા હોવા છતાં પણ આજ દિન સુધી આ મૃતકોને અને તેમના પરિવારને ન્યાય મળ્યો નથી. આજે પણ આ ઘટનાના જવાબદાર અનેક લોકો જેલના સળિયા પાછળ ગયા નથી.
અમારો એક સવાલ પણ છે કે આ ઘટનાને આટલો સમય વીત્યા પછી પણ શા માટે ભાજપ સરકારના કોર્પોરેટરો કે પછી ખાસ કરીને મેયર આ મૃતક બાળકોના ઘરે નથી ગયા? આ પરિવારોને આશ્વાસન આપવા માટે પણ ભાજપના નેતાઓએ સમય ફાળવ્યો નથી. તો આ કયા પ્રકારની રાજનીતિ છે? આજે પણ હરણી બોટ કાંડના મૃતકોના પરિવારો સહિત બીજા જેટલા પણ લોકોના મૃત્યુ તંત્રની બેદરકારીને કારણે થયા છે તે તમામ લોકોના પરિવારો ન્યાયની આશા રાખીને બેઠા છે, પરંતુ એ લોકોને ક્યારે ન્યાય મળશે એ મોટો સવાલ છે. આમ આદમી પાર્ટી હંમેશા આ તમામ દુર્ઘટનાઓના સમયે મૃતકોના પરિવાર સાથે તેમના દુઃખમાં ભાગીદાર થઈ હતી. આવી ઘટનાઓ બાદ ભાજપના વર્તનથી એ સ્પષ્ટ થાય છે કે ભાજપ કઈ પ્રકારની માનસિકતા ધરાવે છે અને આશા રાખીએ છીએ કે વડોદરાની જનતા આ તમામ વાતો પર ધ્યાન આપશે.

