જેલ વિભાગના ડી.જી.પી. ડો. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર સબ જેલના અધિક્ષક દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૪૭૩ હેઠળ કરવામાં આવેલ દરખાસ્ત અને જેલ વિભાગના હકારાત્મક પ્રયાસોના કારણે રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર સબ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી અંગારીયાભાઇ ગમજીભાઇ નાયકની બાકીની સજા માફ કરી, જેલ મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પલાસદા ગામમાં પટેલ ફળીયામાં રહેતા અંગારીયાભાઇ ગમજીભાઇ નાયકને ૨૦૦૮ની સાલમાં ખુન કેસમાં આજીવન કેદની સજા થયેલ હતી. આ કેદીએ વડોદરા સેન્ટ્રલ જેલ અને છોટાઉદેપુર સબ જેલમાં સજા ભોગવેલ હતી. છેલ્લા ૧૫ વર્ષથી આજીવન કેદની સજા ભોગવતા અંગારીયાભાઇ ગમજીભાઇ નાયકે સજા દરમિયાન જેલમાં વણાટકામ, સુથારીકામ, વીશી જવાબદાર તરીકે કામ કરેલ છે. ૧૫ વર્ષથી સજા ભોગવતા પાકા કેદી અંગારીયાભાઇ ગમજીભાઇ નાયકે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૪૭૩ હેઠળ બાકીની સજા માફ કરી વહેલી જેલ મુક્તિ માટે જેલ ઓથોરીટી મારફત રાજ્ય સરકારને રજૂઆત કરેલ હતી, જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા પાકા કેદી અંગારીયાભાઇ ગમજીભાઇ નાયકની જેલ જીવનની સારી કામગીરી તથા સારી ચાલ-ચલગતને ધ્યાને લઇ બાકીની સજા માફ કરીને શરતોને આધીન જેલ મુક્ત કરવાનો આદેશ કરવામાં આવતા, છોટાઉદેપુર સબ જેલમાંથી કેદી અંગારીયાભાઈ ગમજીભાઇ નાયકને જેલ મુક્ત કરવામાં આવેલ છે.
મોહસીન સુરતી છોટાઉદેપુર

