છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની તલાવ પ્રાથમિક શાળા શિક્ષણ વિભાગ દ્વારા બંધ કરી દેવાતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજના લોકોએ શાળા શરૂ કરાવવા માટે નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
છોટાઉદેપુર નસવાડી તાલુકાની તલાવ પ્રાથમિક શાળા ધોરણ 1થી 5ની ચાલતી હતી. જ્યારે શાળાના આચાર્યએ શાળાને તાળાં મારી દેવા માટે વાલીઓ અને બાળકો પાસે કોરા કાગળ ઉપર સહિયો કરાવીને તે બાળકોને આશ્રમ શાળામાં દાખલ કરાવીને પ્રાથમિક શાળાની સંખ્યા જીરો બતાવી દેતા નવા સત્રના પ્રારંભે સરકારે પ્રાથમિક શાળાની સંખ્યા જીરો કાગળ ઉપર હોવાથી શાળાને બંધ કરી દેવાનો આદેશ કરી દેતા સમગ્ર તાલુકામાં શિક્ષકના આ ભેજાથી ખળભળાટ મચી ગયો હતો. આદિવાસી સામજે વખતો વખત તલાવ પ્રાથમિક શાળા શરૂ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરીને થાકી ગયા છે. સરકાર શાળા શરૂ કરવા માટે મક્કમ નિર્ણય કરતી નથી. જેને લઇને આદિવાસી સમાજના લોકો નસવાડી મામલતદારને આવેદનપત્ર આપી અને દિન 15માં શાળા શરૂ નહિ કરવામાં આવે તો રોડ ઉપર ચક્કાજામ અને તાલુકા મથકની કચરીઓ અને ધારાસભ્યનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. અને તેની પાછળ સરકાર જવાબદાર રહેશે. તેવી ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે.

