વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક અને દબાણનો મુદ્દો વધુ ગરમાયો છે. ઈ-મેમો વિવાદ બાદ મામલો રાજકીય અને તંત્ર વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. મુખ્ય માર્ગ પર પાર્ક કરાયેલા વાહનને ઈ-મેમો ફટકારાતા વિવાદ ઊભો થયો હતો, જેમાં કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર અને પીઆઈ એચ. એલ. આહીર વચ્ચે તીવ્ર બોલાચાલી થયાની માહિતી સામે આવી છે.
આ ઘટનાને પગલે વોર્ડ નંબર 14ના ભાજપ કાઉન્સિલર, પૂર્વ કાઉન્સિલર અને સ્થાનિક રહેવાસીઓ ટ્રાફિક ડીસીપી ઝોન-4ની કચેરીએ પહોંચી ડીસીપી જ્યોતિ પટેલ સમક્ષ રજૂઆત કરી હતી. ટ્રાફિકની કાર્યવાહી તથા સ્થાનિક સમસ્યાઓને લઈને લોકોમાં અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ચાર દરવાજા વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદે દબાણની સમસ્યા યથાવત હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું હતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી થયા બાદ થોડા સમયમાં ફરીથી દબાણ ઉભું થઈ જાય છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં અડચણો ઉભી થાય છે.
મામલાને કાયમી ઉકેલવા માટે વોર્ડ નંબર 14ના કાઉન્સિલરોએ મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુને મળીને સંકલિત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કમિશનરે વિશ્વાસ આપ્યો છે કે આગામી બે થી ત્રણ દિવસમાં પોલીસ, ટ્રાફિક વિભાગ અને પાલિકાના અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવશે.
હવે તંત્ર દ્વારા આપવામાં આવેલા આ આશ્વાસન બાદ ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક અને દબાણની સમસ્યાનો કેટલો ઝડપી અને અસરકારક ઉકેલ આવે છે તેના પર સૌની નજર રહેશે.

