નર્મદા જિલ્લાના રાજપીપળામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર ભરબજારમાં બુટલેગરો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સદનસીબે નિરંજન વસાવા હુમલામાં હેમખેમ બચી ગયા છે અને ઘટનાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ આ હુમલાને “સુગરાતના કાયદો-વ્યવસ્થાને ખુલ્લો પડકાર” ગણાવી તીવ્ર શબ્દોમાં વખોડી કાઢ્યો. તેમણે જણાવ્યું કે બે દિવસ અગાઉ નિરંજન વસાવાએ મીડિયા સમક્ષ “રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂ તથા ડ્રગ્સ વેચાય છે” તેવું નિવેદન આપ્યું હતું. આ નિવેદનથી ઉશ્કેરાઈને તથા કેટલાક રાજકીય નેતાઓના ઇશારે બુટલેગરોએ તેમની ગાડી રોકી હુમલો કર્યો હતો.
ચૈતર વસાવાએ આરોપ મૂક્યો કે, “બુટલેગરો અને ડ્રગ પેડલરોની દાદાગીરી એટલી વધી ગઈ છે કે એક પાર્ટીના જિલ્લા પ્રમુખ પણ સુરક્ષિત નથી, તો સામાન્ય જનતાની સલામતી કેવી હશે?”
તેમણે માંગ કરી કે હુમલો કરનાર બુટલેગરો પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, તેમના હથિયારો અને વાહનો જપ્ત કરવા જોઈએ, અને ભૂતકાળની તમામ FIRના આધારે લિસ્ટેડ બુટલેગરો વિરુદ્ધ તાત્કાલિક તડીપાર અથવા પાસા હેઠળ કાર્યવાહી કરવી જોઈએ.
ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે સ્થાનિક PIએ 24 કલાકની અંદર આરોપીઓને ઝડપી પાડવાની ખાતરી આપી છે. તેમણે ઉમેર્યું કે જો તાત્કાલિક કાર્યવાહી ન થાય તો નિરંજન વસાવા અને તેમના પરિવારની સુરક્ષા માટે AAP કાર્યકરો રાજપીપળા SP સમક્ષ સીધી રજૂઆત કરશે.
ઘટનાએ જિલ્લામાં કાયદો-વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે અને સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો વધી ગયો છે.

