નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મયાસી ગામ ખાતે યોજાયેલી જનસભા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર પર સંકલિત હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ કર્યો છે.
નિરંજનભાઈ વસાવાના જણાવ્યા મુજબ, મયાસી ગામની સીમમાંથી બહાર નીકળ્યા બાદ અને તરોપા નહેર સુધી પહોંચતા માર્ગમાં ત્રણ અલગ અલગ જગ્યાએ મોટા પથ્થરો તેમજ કોઈ તીક્ષણ હથિયાર વડે તેમની કારને નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલો આશરે 15 થી 20 જણાની ટોળકી દ્વારા કરવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું.
આ ટોળકીમાં દિનેશ બુટલેગર, વિશાલ ઉર્ફે ‘ગાયો’, હસમુખભાઈ તથા વિલુભાઈ સહિતના લોકો સામેલ હતા અને તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના આશીર્વાદથી ચાલતા બુટલેગર છે એવા ગંભીર આક્ષેપો પણ જિલ્લા પ્રમુખે કર્યા છે.
નિરંજનભાઈ વસાવાના જણાવ્યા મુજબ, આ તેમના પરનો ત્રીજો હુમલો છે અને હવે તેમની જાનને સીધો જોખમ છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી કે જો ભવિષ્યમાં તેમના પર કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી આ હુમલાખોર બુટલેગરો તથા તેમના સાથે “નજબળ સંબંધ” રાખતા ભાજપના મોટા નેતાઓની રહેશે.
ઘટનાની વિગતો સામે આવતા સ્થાનિક રાજકીય વર્તુળોમાં તીવ્ર ચર્ચાઓ શરૂ થઈ છે, જ્યારે પોલીસને આ મામલાની તપાસ માટે માંગ પણ ઉઠી છે.

