છોટા ઉદેપુર જિલ્લો એ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. ૯મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. જેની ઉજવણીના ભાગ રૂપે આજ રોજ જેતપુર પાવી તાલુકામાં તાલુકા પંચાયત કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વ આદિવાસી દિવસ આદિવાસી લોકોના સન્માનમાં ઉજવવામાં આવે છે. આદિવાસી શબ્દ ‘આદિ’ અને ‘વાસી’ બે શબ્દોથી બનેલો છે અને તેનો અર્થ મૂળ છે. આદિવાસી એ એબોરિજિનલ (એબોરિજિનલ) શબ્દનો અનુવાદ છે જેનો ઉપયોગ – “ભૌગોલિક વિસ્તારના રહેવાસીઓ માટે કરાયા છે, કે જેઓ તે ભૌગોલિક વિસ્તાર સાથે જૂનો સંબંધ ધરાવે છે. એટલે કે, એવું કહેવાય છે કે આદિવાસીઓ જે-તે દેશના મૂળ રહેવાસીઓ છે. 1993માં યુનાઈટેડ નેશન્સે 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો હતો. આદિવાસી ભારતીય ઉપખંડમાં વસતી વિવિધ જાતિઓનો ઉલ્લેખ કરે છે. ડિસેમ્બર 1994માં પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવવાની જાહેરાત કરી હતી. તેનો હેતુ આદિવાસીઓના અધિકારોનું જતન-રક્ષણ કરવાનો છે. જેમાં જળ, જંગલ, જમીનનો સમાવેશ થાય છે. આ ત્રણ બાબતોને પ્રોત્સાહન આપવા ઉપરાંત તેમની સામાજિક, આર્થિક અને ન્યાયિક સુરક્ષામાં તેમને સશક્ત બનાવવાના હેતુથી પણ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
9 ઓગસ્ટ એટલે ‘વિશ્વ આદિવાસી દિવસ’. વર્ષ 1982માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેની પ્રથમ બેઠક વર્ષ એ જ વર્ષની 9 ઓગષ્ટે મળી હતી. 10 વર્ષ પછી ઇ.સ.1992માં બ્રાઝિલના રિયોડીજાનેરો ખાતે ‘પૃથ્વી પરિષદ’નું આયોજન કરાયુ હતુ. જેમાં 68 જેટલા દેશોના 400 આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી. તેના અનુસંધાને UNOના 11મા અધિવેશનમાં એ વર્ષને ‘વિશ્વ આદિવાસી વર્ષ’ તરીકે જાહેર કર્યું અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રથમ બેઠક 9 ઓગષ્ટે મળી હોવાથી વર્ષ 1993થી દર વર્ષની 9 ઓગષ્ટને ‘વિશ્વ આદિવાસી દિન’ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી.
વિશ્વ આદિવાસી દિને તેમનાના ઇતિહાસ પર એક નજર કરી તો, આદિવાસીઓના પ્રશ્નોથી વાકેફ થઇ તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબધ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપરનાં માનવ, જીવનસૃષ્ટિ, પશુ-પંખી અને પ્રકૃતિનાં સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાય છે. આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને જન નાયક બિરસામુંડાએ બિહાર-ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરી આદિવાસી પ્રજાને ન્યાય અપાવ્યો હતો. અને કૃષિ ક્ષેત્રે આદિવાસીઓની લગાન માફ કરવા માટે પણ તેઓ અંગ્રેજો વિરુધ્ધ થતા હતા.
એ સિવાય ભાવનગરના રાજા હમીરજી ગોહિલને સોમનાથ મંદિર બચાવવા માટે વેગડા ભીલે મદદ કરી શહીદી વ્હોરી હતી અને મહારાણા પ્રતાપને યુદ્ધમાં આદિવાસી ભાઇઓએ જ મદદનો હાથ આપ્યો હતો. તો રામને લંકા વિજય દરમિયાન, ડાંગમાં રાજાઓનાં પગપેસારાને અટકાવવામાં પણ આદિવાસીઓનો ફાળો મહત્વનો છે. ઝાંસીની રાણીને ટેકો આપતા આદિવાસીઓએ માનગઢ મહાનાયકશ્રી ગોવિંદગુરૂ સાથે મળી અંગ્રેજોને ધૂળ ચાટતા કર્યા હતાં.
રિપોર્ટર : વિમલ રાઠવા, જેતપુર પાવી

