અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના મહેન્દ્રનગરમાં એક અત્યંત કરુણ અને દુઃખદ ઘટના સામે આવી છે. ઉત્તર ભારતીય શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવામાં આવેલા છઠ પૂજાના જળકુંડમાં ડૂબી જવાથી એક 5 વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે. જોકે, અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો હતો. બનાવની વિગત અનુસાર ગડખોલ ગામના મહેન્દ્રનગરમાં છઠ પૂજા માટે એક જળકુંડ બનાવવામાં આવ્યો છે. હાલના વરસાદી માહોલને કારણે આ કુંડ પાણીથી છલોછલ ભરાયેલો હતો. શુક્રવારની સાંજે નજીકમાં રમી રહેલા બે બાળકો અચાનક આ કુંડમાં પડી ગયા. આસપાસ હાજર લોકોએ તરત જ બચાવ કામગીરી હાથ ધરી. પરંતુ, કમનસીબે એક 5 વર્ષીય બાળકને બચાવી શકાયો ન હતો. જ્યારે બીજા બાળકને સમયસર બહાર કાઢી લેવાતા તેનો જીવ બચી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બાળકના મૃતદેહને કુંડમાંથી બહાર કાઢ્યો હતો અને આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

