માગશર મહિનાનો વિશેષ મહિમા કહેવાય છે, કારણ કે પરંપરા મુજબ આજના દિવસે ભગવાન ભોલેનાથ શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. આ પવિત્ર પ્રસંગને લઈને વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરે શિવભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.
હિંદુ ધર્મ અનુસાર શ્રાવણ તથા માંગશર મહિના બંને ભગવાન શિવને અતિ પ્રિય માનવામાં આવે છે. આ અવસરે ભક્તો નૈમિત્તિક શિવલિંગ પૂજા, કાવડ યાત્રા, શિવપુરાણ પાઠ અને વિવિધ ધાર્મિકવિધીઓ દ્વારા ભક્તિભાવ વ્યક્ત કરે છે. શિવલિંગની ઉપાસના ખાસ ફળદાયી માનવામાં આવે છે અને તેની ઉત્પત્તિ તથા પરંપરા વિશે પણ ભક્તોમાં વિશેષ ઉત્સુકતા જોવા મળી.
આજે મંદિર પરિસરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિવલિંગને 11, 21, 51 અને 108 દીવડાં પ્રગટાવી પૂજા–અર્ચના કરવાનો મહિમા ભક્તોને સમજાવવામાં આવ્યો. ભક્તોએ મોટી સંખ્યામાં દીવા પ્રગટાવી, દુધાભિષેક, રુદ્રાભિષેક અને મહાઆરતીમાં ભાગ લીધો.
શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના મહારાજે જણાવ્યું કે માંગશર મહિનામાં શિવલિંગની પૂજા કરવાથી જીવનમાં શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે. ભક્તોને ખાસ કરીને આજના પવિત્ર દિવસે ઉપાસના અને દીવા પ્રગટાવવાનો મહિમા સમજાવવામાં આવ્યો.

