ડભોઈ: શહેરના જનતાનગરના નાકા પાસે આવેલા માર્યા કોમ્પ્લેક્સ નજીક આજે MGVCL દ્વારા નવા વીજ વાયર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ કામગીરી દરમિયાન તંત્રની ઘોર બેદરકારી અને માનવ જિંદગી પ્રત્યેની લાપરવાહી સામે આવી છે.
સેફ્ટી સાધનો વગર 20 ફૂટ ઊંચા થાંભલા પર જોખમી કામ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ કોઈપણ પ્રકારના સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ કે સુરક્ષાના સાધનો વગર 15 થી 20 ફૂટ ઊંચા થાંભલા પર ચઢીને કામ કરી રહ્યા હતા. વીજ લાઈન જેવી જોખમી કામગીરીમાં સુરક્ષાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું જોઈ સ્થાનિકોમાં ફાળ પડી હતી.
અધિકારીઓનો ઉડાઉ જવાબ જવાબદારી કોન્ટ્રાક્ટરની જ્યારે આ બાબતે સ્થળ પર હાજર MGVCLના લાઈનમેન એસ. એસ. પટેલને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સંતોષકારક જવાબ આપવાને બદલે ગોળ-ગોળ વાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો કોઈ જાનહાનિ કે દુર્ઘટના થશે તો તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે
સવાલ એ ઉભો થાય છે કે જો સરકારી અધિકારીઓ જ પોતાની હાજરીમાં થતા ખોટા કામનો બચાવ કરતા હોય અને કોન્ટ્રાક્ટરની તરફેણ કરતા હોય તો કોઈ મોટી દુર્ઘટનાના કિસ્સામાં જવાબદાર કોણ? શું તંત્ર કોઈના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે?
જાહેરાત વગર પાવર કટ લોકો પરેશાન
સામાન્ય રીતે જ્યારે પણ MGVCL દ્વારા સમારકામ કરવાનું હોય ત્યારે અગાઉથી જાહેરાત કરવામાં આવતી હોય છે. પરંતુ આ કિસ્સામાં કોઈપણ પ્રકારની પૂર્વ જાણકારી વગર વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો.
લગભગ બે કલાક સુધી લાઈટ ગુલ રહેતા સ્થાનિક રહીશો અને વેપારીઓ ભારે હાલાકીમાં મુકાયા હતા સ્થાનિકોની માંગ
ડભોઈ MGVCL દ્વારા ચાલતી આ કામગીરીમાં નીતિ-નિયમોનું પાલન થાય અને કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરી જવાબદાર લાઈનમેન અને કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરે તે જરૂરી છે.

