વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે વિવિધ અભિયાન અને કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે, પરંતુ પાલિકા તંત્રની જ કચેરીમાં ‘દીવા તળે અંધારું’ જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પૂર્વ ઝોનની વોર્ડ નંબર 4ની કચેરીમાં સૂકો અને ભીનો કચરો એકત્ર કરવા માટે રાખવામાં આવેલી કચરાપેટીઓ ધૂળ ખાતી અને ભંગાર હાલતમાં જોવા મળતાં તંત્રની બેદરકારી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
પાલિકા દ્વારા નાગરિકોને સૂકો અને ભીનો કચરો અલગ-અલગ કચરાપેટીમાં નાખવા માટે સતત અપીલ કરવામાં આવે છે, પરંતુ પોતાની જ કચેરીમાં જરૂરી સુવિધાનો અભાવ જોવા મળતાં સ્વચ્છતા અભિયાન પર સવાલ ઊભા થયા છે. કચરાપેટીઓ ઉપયોગ બહાર થઈ ગઈ હોવા છતાં તેની બદલાવ અથવા જાળવણી કરવામાં ન આવતાં બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે.
આ સમગ્ર મામલે વડોદરા યુથ કોંગ્રેસના પ્રમુખ પવન ગુપ્તા સ્થળ પર પહોંચ્યા હતા અને પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જો પાલિકા પોતાની જ કચેરીમાં સ્વચ્છતા જાળવી શકતી નથી, તો નાગરિકોને ઉપદેશ આપવાનો નૈતિક અધિકાર તેને રહેતો નથી.
આ ઘટના બાદ પાલિકા તંત્ર દ્વારા કચરાપેટીઓની યોગ્ય વ્યવસ્થા અને સ્વચ્છતા જાળવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.

