વડોદરા મહાનગરપાલિકામાં દર મંગળવારે યોજાતી રીવ્યુ બેઠક આજે મળી હતી, જેમાં શહેરના સર્વાંગી વિકાસ અને સ્વચ્છતા બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન રોડ–રસ્તા, ડ્રેનેજ, આવાસ યોજનાઓ, હેરિટેજ બિલ્ડિંગ, તળાવો, ગાર્ડન તેમજ સફાઈ સંબંધિત કામગીરીની અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
સ્વચ્છતા પર ખાસ ભાર મૂકતા મ્યુનિસિપલ કમિશનરે વોર્ડ ઓફિસરો અને સેનેટરી ઇન્સ્પેક્ટરો સાથે બેઠક કરીને તેમની કામગીરીનું રીવ્યુ લીધું હતું. લારી–ગલ્લા ચલાવનારાઓ પોતે સફાઈ પર ધ્યાન આપે તે માટે કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ ટ્રાફિકમાં અડચણ સર્જતા દબાણ દૂર કરવા આવનારા દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવાયું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરમાં આશરે ૧૨,૦૦૦ મકાનો બાંધવાની દિશામાં પાલિકા પ્રયત્નશીલ હોવાનું બેઠકમાં જણાવાયું હતું. ઉપરાંત શહેરમાં વારંવાર થતી આડેધડ ખોદકામની સમસ્યા અટકાવવા માટે આવનારા સમયમાં સુવ્યવસ્થિત પ્લાનિંગ કરી સિસ્ટમેટિક રીતે કામ થાય તે માટે પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
શહેરના ટ્રાફિકભર્યા માર્ગો પર પણ આગામી સમયમાં ખાસ કાર્યવાહી કરવામાં આવશે. કાશી વિશ્વનાથ તળાવ અને લાલબાગ તળાવની સફાઈ તથા વિકાસ કાર્ય અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અમલમાં મૂકવા ટાઉન ડેવલપમેન્ટ કમિટીની રચના ટૂંક સમયમાં કરવામાં આવશે, જેથી આ નીતિને ગતિ મળે.
આ બેઠકમાં તમામ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી આવનારા દિવસોમાં વડોદરા શહેરના નાગરિકોને વધુ સારી સુવિધાઓ કેવી રીતે પૂરી પાડી શકાય અને વિકાસકાર્યો ઝડપથી પૂર્ણ થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અંગે વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આપી હતી.

