વડોદરા નજીકના કરચિયા રેલવે યાર્ડ માં ફરજ દરમિયાન એક રેલવે કર્મચારીને વીજળીનો જોરદાર કરંટ લાગતા ગંભીર અકસ્માત સર્જાયો છે.
માહિતી મુજબ, રેલવેમાં ખલાસી તરીકે ફરજ બજાવતા ગૌતમ સોલંકી ડ્યુટી દરમિયાન અચાનક વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. ઘટના બનતાં જ તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેઓ જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે.
આ ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે. હોસ્પિટલ પરિસરમાં પરિવારના સભ્યોએ હોબાળો મચાવી રેલવે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ તથા વરિષ્ઠ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક રીતે કર્મચારી પાસે જરૂરી સેફ્ટી સાધનો હતા કે નહીં અને કરંટ લાગવાનો ચોક્કસ કારણ શું હતું તે તપાસ બાદ સ્પષ્ટ થશે.
આ બનાવે રેલવે યાર્ડમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

