ડભોઈના પલાસવાડા નજીક ટ્રકની અડફેટે ફંગોળાયેલા બાઈકસવાર ખેડૂતનું મોત વડોદરા જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગત ડભોઈ-વડોદરા રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૪૨ વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો છે. ડભોઈ તાલુકાના પલાસવાડા ગામના રહેવાસી વિરલ મહેન્દ્રભાઈ પટેલ (૪૨) ખેતીકામ પૂર્ણ કરીને બાઈક પર વડોદરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ડભોઈ–વડોદરા રોડ પર એક પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રકના પાછળના ટાયર બાઈક સવાર વિરલભાઈ પર ફરી વળ્યા હતા. આ દુર્ઘટનામાં બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને વિરલભાઈને ગંભીર ઇજાઓ થવાથી રોડ પર લોહીના ફુવારા ઉડયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તથા ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો.
અકસ્માત બાદ ડભોઈ-વડોદરા રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો. ડભોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરવાની
કામગીરી હાથ ધરી હતી. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માત સજીર્ને ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે, જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. માર્ગ અકસ્માતમાં આશાસ્પદ ખેડૂત યુવકનું મોત થતા પલાસવાડા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માતનો અન્ય એક બનાવ ડભોઈ-તિલકવાડા રોડ ઉપર બન્યો હતો. સીતપુર ગામની સીમમાં ટ્રક ચાલકે સિગ્નલ આપ્યા વગર ટ્રક વાળી દેતા પાછળ આવેલા રહેલા મોટર સાયકલ ચાલક ભરતભાઈ ધોળાભાઈ રાઠવાની મોટર સાયકલને અડફેટમાં લેતા બાઇક પર સવાર પતિ પત્ની રોડ પર પટકાયા હતા જેમાં વિશાલબેન રાઠવાનું ગંભીર ઈજાને કારણે મોત નિપજયું હતું. બનાવ અંગ ડભોઇ પોલીસ ગીરીશ રાઠવાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

