વડોદરા શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલી સાંનિધ્ય ટાઉનશિપમાં બે દિવસ અગાઉ દબાણ હટાવવાની કાર્યવાહી બાદ આજે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ફરિયાદ કરનાર અરજદાર અને સોસાયટીના રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, ખોડિયાર નગર વિસ્તારની સાંનિધ્ય ટાઉનશિપ ખાતે કેટલાક મકાનોની બહાર ગેરકાયદેસર બનાવાયેલા ઓટલા અને કંપાઉન્ડ વોલ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે સોસાયટીમાં રહેતા વિજય ચાવડા દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી તેમજ ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી, જેના આધારે તંત્ર દ્વારા પગલા લેવામાં આવ્યા હતા.
દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન વિજય ચાવડા ઘરે હાજર ન હતા અને તેઓ લગ્ન પ્રસંગે બહાર ગયા હતા. આજે તેઓ પરત ફરતા સોસાયટીના કેટલાક રહીશો સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાતાવરણ તંગ બનતા બંને પક્ષે પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ ઘટનાને લઈ બંને પક્ષ દ્વારા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે અને સામસામે આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસે અરજીના આધારે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

