નસવાડી તાલુકાના ઘોડીસીમેલ અને પોથલીપુરા ગામ વચ્ચે અશ્વિન નદી પર આઝાદી બાદ પ્રથમ વખત અંદાજે ૮ કરોડ રૂપિયાના ખર્ચે નવા બ્રિજના નિર્માણનું ખાતમુહૂર્ત સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામલોકોએ ધારાસભ્યનું ઘોડા પર બેસાડી ભવ્ય સ્વાગત કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચોમાસા દરમિયાન અશ્વિન નદી ભારે વહેતી હોવાથી બંને ગામોના લોકોને વર્ષોથી આવન-જાવનમાં મોટી મુશ્કેલી પડતી હતી. આ સમસ્યા અંગે સ્થાનિક ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરતા ધારાસભ્ય અભેસિંહ તડવીએ સરકાર સમક્ષ પુલ નિર્માણ માટે દરખાસ્ત મૂકી હતી, જેના પરિણામે સરકાર દ્વારા અંદાજે ૮ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી.
આ બ્રિજના નિર્માણનું કામ ડી. એમ. પટેલ એજન્સીને સોંપવામાં આવ્યું છે. જેના અનુસંધાને તા. ૬ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. વર્ષોથી ચાલતી સમસ્યાનું કાયમી સમાધાન થવાના સમાચારથી ગામોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.
આ પ્રસંગે ગ્રામજનોએ ધારાસભ્યને ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું તથા ભવ્ય વરઘોડો કાઢી આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, એસ.ટી. નિગમના પૂર્વ ચેરમેન જસુંભાઈ ભીલ સહિત અનેક આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

