છોટાઉદેપુર એસટી ડેપોથી ગોંડલ તરફ જઈ રહેલી રાજ્ય પરિવહન નિગમની બસ કવાંટ તાલુકાના ખંડેરીયા ગામ નજીક અકસ્માતનો ભોગ બની હતી. એસટી બસ અને આઇસર ગાડી વચ્ચે થયેલી અથડામણમાં બસના ડ્રાઇવર અને કંડકટરને ઇજા પહોંચતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતમાં બસમાં સવાર પાંચથી છ મુસાફરોને પણ નાની મોટી ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ સંભાળી માર્ગ પરના વાહનવ્યવહારને વ્યવસ્થિત કર્યો હતો.
અકસ્માતને પગલે થોડા સમય માટે રોડ પર ટ્રાફિક પ્રભાવિત થયો હતો. હાલ પોલીસે અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.

