વડોદરા શહેરના ઠેકરનાથ રોડ સ્થિત હરિહર એપાર્ટમેન્ટ પાછળ આવેલા નાગેશ્વર મહાદેવ મંદિર નજીક ભાથીજી મિત્ર મંડળ દ્વારા વસંતપંચમીના શુભ પાવન પર્વ નિમિત્તે સતત ત્રીજા વર્ષે મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
મહા સુદ પાંચમના પવિત્ર દિવસે યોજાયેલ આ કાર્યક્રમનું આયોજન હરીશભાઈ કહારની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું. નાગેશ્વર મહાદેવ તેમજ ભાથીજી મંદિર તરફથી આયોજિત આ મહાપ્રસાદીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ હાજરી આપી ધર્મલાભ લીધો હતો.
આ પ્રસંગે સમગ્ર પરિસરમાં ભક્તિભાવ અને ઉત્સવનું વાતાવરણ સર્જાયું હતું. વસંતપંચમીના આ પવિત્ર અવસરે યોજાયેલ મહાપ્રસાદીથી સ્થાનિક લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

