રમતગમત માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ યુવાનોના સર્વાંગી વિકાસનું મજબૂત માધ્યમ છે—આ વિચારને સાકાર કરતી સાંસદ ખેલ મહોત્સવ–2025નો ભવ્ય સમાપન સમારોહ વડોદરા ખાતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. આ મહોત્સવે યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ, શિસ્ત અને રાષ્ટ્રીય ભાવનાનો સંચાર કર્યો હોવાનું જોવા મળ્યું.
સમાપન સમારોહની વિશેષતા તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમ સાથે જોડાયા હતા. તેમણે પોતાના સંબોધનમાં યુવાનોને રમતગમતને જીવનનો અભિન્ન ભાગ બનાવવા, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તેમજ દેશનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવા માટે પ્રેરણા આપી હતી. વડાપ્રધાનના પ્રોત્સાહક શબ્દોએ ઉપસ્થિત ખેલાડીઓ અને યુવાનોમાં નવો ઉત્સાહ ભરી દીધો હતો.
આ કાર્યક્રમમાં યુવા સાંસદ હેમાંગ જોષી, વિધાનસભાના મુખ્ય દંડક, વડોદરા ભાજપ શહેર અધ્યક્ષ, ડેપ્યુટી મેયર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ખેલ મહોત્સવમાં ભાગ લેનાર ખેલાડીઓની પણ મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી.
તમામ મહેમાનોએ સાંસદ ખેલ મહોત્સવના આયોજનની પ્રશંસા કરી અને યુવાનોને રમતગમતના ક્ષેત્રે વધુ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

