સુરત: દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા હીરાબાનો ખમકાર યોજના અંતર્ગત આજે સુરતમાં ચોથા ચરણનો સહાય ચેક અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ યોજના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈ દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે.
હીરાબાનો ખમકાર યોજના હેઠળ ધોરણ 5 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને રૂ. 7,500ની આર્થિક સહાય આપવામાં આવે છે. આજે યોજાયેલા કાર્યક્રમમાં કુલ 1100 દીકરીઓને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આયોજકોના જણાવ્યા મુજબ, આ યોજનાના માધ્યમથી કુલ 21,000 દીકરીઓને સહાય આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ યોજના પ્રધાનમંત્રીના 75મા જન્મદિવસ નિમિતે શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ સતત વિવિધ ચરણોમાં સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હીરાબાનો ખમકાર યોજના દ્વારા દીકરીઓના શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન મળે અને તેમના ભવિષ્યને મજબૂત આધાર મળે તેવો હેતુ રાખવામાં આવ્યો છે.
કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લાભાર્થી દીકરીઓ અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા અને યોજનાને દીકરીઓના સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.

