વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતી નિમિત્તે વડોદરા શહેરના વાડી ભાડવાળા વિસ્તારમાં આવેલા મંદિર ખાતે ભક્તોનો માનવ મહેરામણ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મંદિર ખાતે આરતી, પૂજા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
બ્રહ્માંડના મહાન શિલ્પકાર તરીકે ઓળખાતા ભગવાન વિશ્વકર્માની આરાધનાનો તહેવાર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, ભગવાન વિશ્વકર્મા બ્રહ્માંડના પ્રથમ શિલ્પકાર, આર્કિટેક્ટ અને એન્જિનિયર ગણાય છે. ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે જ્યારે ભગવાન બ્રહ્માએ બ્રહ્માંડની રચના કરી હતી ત્યારે તેની રચનાની જવાબદારી ભગવાન વિશ્વકર્માને સોંપવામાં આવી હતી.
આ ઉપરાંત, શાસ્ત્રો મુજબ ભગવાન વિશ્વકર્મા ભગવાન બ્રહ્માના સાતમા પુત્ર હતા તેવી માન્યતા પણ પ્રચલિત છે.
જન્મજયંતીના પ્રસંગે મંદિર ખાતે વહેલી સવારે આરતી સાથે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સાથે જ પાલકી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ શ્રદ્ધાપૂર્વક ભગવાન વિશ્વકર્માની આરાધના કરી હતી.

