વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવા માટે ટ્રાફિક શાખા–પૂર્વ અને કારેલીબાગ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા આજે વિશેષ દબાણ હટાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી કારેલીબાગ પોલીસ સ્ટેશનથી નાગરવાડા ચાર રસ્તા, બહુચરાજી રોડ અને સલાટવાડા રોડ વિસ્તારમાં કરવામાં આવી હતી.
પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર તથા અધિક પોલીસ કમિશ્નર ડૉ. લીના પાટીલ (લો એન્ડ ઓર્ડર)ના સૂચનાથી તેમજ નાયબ પોલીસ કમિશ્નર એન્ડ્રુ મેકવાન (ઝોન–૦૪) અને નાયબ પોલીસ કમિશ્નર તેજલ પટેલ (પૂર્વ ઝોન)ના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ટ્રાફિક શાખા–પૂર્વના એન્ફોર્સમેન્ટ ટીમ ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એચ. એમ. વ્યાસ તથા તેમની ટીમ અને કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ સબ–ઈન્સ્પેક્ટર ડી. બી. પટેલ સહિતના કર્મચારીઓ દ્વારા ઉપરનો પાર્કિંગ, બિનવારસી વાહનો તથા એકી–બેકી જાહેરનામા અંતર્ગત રસ્તા પર થતા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન કુલ ૮૪ ઇ–ચલણ કરવામાં આવ્યા હતા, ૦૮ ટુ–વ્હીલર અને ૦૧ ફોર–વ્હીલર ટોઈંગ કરવામાં આવ્યા હતા તથા દબાણ કરતા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું હતું.

