વડોદરા શહેરના કમાટીબાગ ખાતે મહાનગર પાલિકા હસ્તાક ચાલતી જોઇ ટ્રેન અવાર નવાર વિવાદોમાં ઘેરાય છે. ત્યારે આજે સાંજના સમયે ગેટ નંબર-2 પાસે જોઇ ટ્રેન 4 વર્ષની બાળકી ઉપર ફરી વળી હતી. આ દુર્ઘટનામાં બાળકીનું મોત નિપજ્યું હતુ. બનાવને પગલે મોટી સંખ્યામાં એકત્ર થયા અને સયાજીગંજ પોલીસનો કાફળો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. બનવા અંગેની મળતી માહિતી અનુસાર, જંબુસર સોગંદવાડી ખાતે રહેતો પઠાણ પરિવાર શનિવારે વડોદરાના કમાટીબાગ ખાતે ફરવા માટે આવ્યું હતુ. દરમિયાન 4 વર્ષીની ખાતીજા પઠાણ તેના પિતરાઇ ભાઇ સહિત પરિવારના સભ્યો સાથે કમાટીબાગમાં રજાની મજા માણી આખરે સાંજે પાંચ વાગ્યાની આસપાસ જોઇ ટ્રેનમાં મુસાફરી કરી હતી ત્યારબાદ ખાતીજા જોઇ ટ્રેનના બાથરૂમ નજીક આવેલો ટ્રેક ઓળંગતા ટ્રેનની અડફેટે આવી ગઇ હતી. આ દુર્ઘટનામાં ટ્રેન ચાર વર્ષની માસૂમ બાળકી ઉપર ફરી વળતા તેના શરીરના કેટલાક અંગો છુટ્ટા પડી ગયા હતા. આ દુર્ઘટના સર્જાતા ટ્રેન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ટ્રેનની અડફેટે આવેલી બાળકીને તાત્કાલીક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ બનાવને પગલે પઠાણ પરિવાર ઉપર આભ તુટી પડ્યો હતો.

