વડોદરા રેલવે સ્ટેશન પરથી પાંચ વર્ષના બાળકના અપહરણની ઘટનામાં રેલવે પોલીસે ઝડપી કાર્યવાહી કરી બાળકને સુરક્ષિત રીતે તેના માતા-પિતાને સોંપ્યો હતો. બાળક મળતા જ પરિવારની ખુશી છલકાઈ ગઈ હતી અને તેમણે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. અપહરણ કરનાર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઘટના 27 જાન્યુઆરીના રોજ બની હતી, જ્યારે અનિલ વાસપુરા પોતાની પત્ની અને બાળક સાથે વડોદરા રેલવે સ્ટેશન પર ગયા હતા. તે દરમિયાન તેમના પાંચ વર્ષના પુત્ર યુવરાજને કોઈ ઈસમ લઈ ગયો હોવાની ફરિયાદ વડોદરા રેલવે પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.
ફરિયાદના આધારે રેલવે પોલીસે તરત જ તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજ તેમજ મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી. વડોદરા રેલવે એલસીબીના પી.આઈ. ટી.વી. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એન. પરમાર, રેલવે પોલીસના ઇન્ચાર્જ પી.આઈ. એચ.પી. રવિયા તથા તેમની સમગ્ર ટીમની મહેનતના પરિણામે બાળકને શોધી કાઢવામાં સફળતા મળી હતી.
પોલીસે પાંચ વર્ષીય યુવરાજના અપહરણના આરોપી અનિલ બારીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બાળક પરિવાર સાથે મળતા જ માતા-પિતા અને પોલીસ સ્ટાફ બંનેમાં ખુશીની લહેર ફરી વળી હતી.
આ મામલે વડોદરા રેલવે ડિવિઝનના ડીવાયએસપી જી.એસ. બારીયાએ જણાવ્યું હતું કે રેલવે પોલીસ જનસેવામાં સતત સતર્ક રહી આવી ઘટનાઓમાં તાત્કાલિક પગલાં લે છે.

