વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આયોજિત ઐતિહાસિક રાષ્ટ્રીય યુનિટી માર્ચમાં દેશભરના પદયાત્રીઓ ઉત્સાહભેર જોડાયા છે. પદયાત્રાના દસમા દિવસે યાત્રા અંબુભાઈ પુરાણી કેમ્પસથી ગોપાલપુરા, નવા વાઘપુરા અને ફૂલવાડી માર્ગે ભાણદ્રા ચોકડી તરફ આગળ વધી હતી.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને સમર્પિત કરમસદથી કેવડિયા સુધીની 150 કિમી લાંબી આ પદયાત્રામાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
યાત્રાને પ્રેરણા આપવા માટે કેન્દ્રીય કોલસા અને ખાણમंत्री શ્રી જી. કિશન રેડ્ડી, કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી ડૉ. સુકાંત મજુમદાર, વન રાજ્યમંત્રી પ્રવીણ માળી, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, રમત રાજ્યમંત્રી જયરામભાઈ ગામિત, કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારા, સાંસદશ્રી જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા.
દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પદયાત્રીઓ, જિલ્લા અગ્રણી નીલભાઈ રાવ, વરિષ્ઠ નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ, સ્વયંસેવકો, સ્વચ્છતાગ્રહીઓ, તેમજ NCC–NSS કેડેટ્સ મોટી સંખ્યામાં જોડાતા સમગ્ર માર્ગમાં અનોખો ઉત્સાહ છવાયો હતો.
દેશભક્તિના ગીતો અને ‘જય સરદાર’ના નાદ સાથે આગળ વધતી પદયાત્રાનું માર્ગમાં આવેલા ગામોના નાગરિકો દ્વારા રાસ–ગરબા, લોકનૃત્ય, કલાકારોના પ્રદર્શન અને પુષ્પવર્ષા દ્વારા હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર યાત્રામાર્ગે એકતા, રાષ્ટ્રભાવના અને સામાજિક સૌહાર્દનો ઉત્તેજક માહોલ જોવા મળ્યો હતો.

