વડોદરા: શહેરના સમૃદ્ધ ઇતિહાસ અને ઐતિહાસિક વારસાને જનજન સુધી પહોંચાડવાના હેતુસર “આપણી ધરોહર” દ્વારા આજે વડોદરાની ઐતિહાસિક ઇમારતોને આવરી લેતી હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.
હેરિટેજ વોકની શરૂઆત સુરસાગર ખાતેથી કરવામાં આવી હતી. આ વોક દરમિયાન સુરસાગર, રાવપુરા ટાવર, ટામેટેકરનો વાળો, જૂની કોઠી કચેરી, લાઇબ્રેરી, અરવિંદ આશ્રમ સહિતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી અને અંતે જુમ્મા દાદા અખાડા ખાતે વોકનું સમાપન કરવામાં આવ્યું હતું.
આ હેરિટેજ વોકમાં યુવાનો, યુવતીઓ તેમજ સિનિયર સિટીઝન સહિત વિવિધ વર્ગના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વોક દરમિયાન ભાગ લેનારાઓને વડોદરાના ઇતિહાસ, વારસા અને ઐતિહાસિક ઇમારતો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ આયોજનનો મુખ્ય હેતુ આજની યુવા તથા નવી પેઢીને પોતાની કર્મભૂમિ વડોદરાના ઇતિહાસ અને ઐતિહાસિક ઇમારતો વિશે માહિતગાર કરવાનો હતો, જેથી શહેરની ધરોહર પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા વિકસે.

