ડાકોર ખાતે રાજાધિરાજ રણછોડરાયજી મંદિરમાં ફાગણી પૂનમ અને હોળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અબીલ-ગુલાલ અને ફૂલોના રંગે રંગાયેલો માહોલ વચ્ચે લાખો ભક્તો પ્રભુના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
ઉત્સવ નિમિત્તે ભગવાન રણછોડરાયના બાળ સ્વરૂપ લાલજી મહારાજને મનોહર પારણામાં બિરાજમાન કરી ફૂલડોલ મહોત્સવ ઉજવાયો હતો. પારણે ઝૂલતા પ્રભુના દર્શન કરી શ્રદ્ધાળુઓ કૃતાર્થ બન્યા હતા. મંદિર પરિસર ‘જય રણછોડ માખણ ચોર’ના ગુંજતા જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
આ અવસરે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ડાકોર પહોંચી ઠાકોરજીને ધજા અર્પણ કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા તેમજ રાજ્યની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
ડાકોરમાં પદયાત્રીઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. કેટલાય માઈલોથી પગપાળા આવેલા ભક્તોથી સમગ્ર નગર ઉભરાઈ ગયું હતું. ફાગણી પૂનમના પાવન પ્રસંગે ડાકોર ધાર્મિક આસ્થાના રંગમાં રંગાઈ ગયું હતું.

