વડોદરા શહેરમાં ગત વર્ષે આવેલા પૂર બાદ સરકારે ઉચ્ચ સ્તરીય કમિટીનું ગઠન કર્યું હતું. આ કમિટીની સુચનાને આધારે આજવા સરોવરની મજબુતાઈ ચકાસવા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જીઓ ફિજિકલ ઈન્વેસ્ટીગેશન કરાવાયું હતું. જેમાં પોલાણ કે ભંગાણની માહિતી મેળવવા પાંચ સ્થળે ફિઝોમીટર મુકાશે
આજવા સરોવર ૧૩૫ વર્ષ જૂનો ડેમ છે. જેનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરાવ્યું હતું. ગત વર્ષે શહેરમાં આવેલા પૂર બાદ સરકારે નવલાવાલા કમિટીની રચના કરી હતી. આ કમિટીની સુચના અનુસાર VMCએ ખાનગી કન્સલ્ટન્ટ મારફતે જીઓ ફિજિકલ ઈન્વેસ્ટીગેશન કરાવ્યું હતું. જેમાં ઈ.આર.ટી. (ઈલેક્ટ્રોનિક રિઝીસ્ટીવીટી ટેસ્ટ) પદ્ધતિનો ઉપયોગ કરાયો હતો. ઈ.આર.ટી.માં સેન્સર દ્વારા ઈલેક્ટ્રોનિક્સ વેવ્સને પસાર કરવામાં આવે છે. જેનાથી ડેમમાં કોઈ પોલાણ કે ભંગાણ હોય તો જાણકારી મળી શકે. આ અંગેનો ડ્રાફિટ રિપોર્ટ આવી જતાં મ્યુનિ.કોર્પોરેશનના કન્સલ્ટન્ટ અને ગેરીને અભિપ્રાય માટે મોકલી અપાયો હતો. તેઓ દ્વારા ડેમનું પૉર વૉટર પ્રેશર, વૉટર હેડ માપવા માટે ફિઝોમીટર મુકવાની સલાહ અપાઈ છે. જેના આધારે ડેમમાં પાચ સ્થળોએ ફિઝોમીટર મુકવાની કામગીરી શરૂ કરાશે. આ કામગીરી લગભગ એકથી દોઢ મહિના માં પૂર્ણ થઈ જશે.

