2026ની શરૂઆતમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી રોમાંચક વનડે (ODI) શ્રેણીને લઈ સમગ્ર દેશમાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થવાની સંભાવનાને કારણે આ શ્રેણી વધુ રસપ્રદ બનવાની છે. વડોદરામાં રમાનારી આંતરરાષ્ટ્રીય મેચને લઈ શહેરના ક્રિકેટ પ્રેમીઓમાં પણ વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ છે.
જો કે, બી.સી.એ (બડોદા ક્રિકેટ એસોસિએશન) દ્વારા ટિકિટ બુકિંગ માટે ઓનલાઇન વ્યવસ્થા શરૂ થતાં જ ટૂંકા સમયમાં તમામ ટિકિટો “બુકિંગ ફુલ” બતાવવામાં આવી હતી. બી.સી.એ તરફથી તમામ ટિકિટો વેચાઈ ગઈ હોવાની માહિતી આપવામાં આવતા વડોદરાના ક્રિકેટ રસિકોમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળ્યો હતો. ઘણા ક્રિકેટ પ્રેમીઓએ ટિકિટોના કાળા બજારની આશંકા વ્યક્ત કરી હતી.
આ મુદ્દે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા બી.સી.એની બિલ્ડિંગ બહાર સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ બી.સી.એના અધિકારીને આવેદનપત્ર સોંપી ટિકિટોની કાળા બજારી અંગે ગંભીર તપાસ કરવાની માંગ કરી હતી.
પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે, “વડોદરા શહેરના ક્રિકેટ પ્રેમીઓ સાથે થયેલો અન્યાય સહન કરવામાં આવશે નહીં. શહેરના સામાન્ય ક્રિકેટ ચાહકોને આ આંતરરાષ્ટ્રીય મેચ જોવાનો યોગ્ય અવસર મળે તે માટે બી.સી.એ દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવવું જોઈએ.”
પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી હતી કે ટિકિટ વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવે અને કાળા બજારને રોકવા માટે કડક પગલાં લેવામાં આવે, જેથી વડોદરાના સાચા ક્રિકેટ રસિકો મેચનો આનંદ માણી શકે.

