વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર સુભાનપુરા ખાતે ઝાંસી કી રાણી મેદાનમાં સ્વ. માતૃશ્રી લીલાબેન વસંતરાવ આયરેની પુણ્યતિથિ નિમિત્તે ‘સરકાર આપના દ્વારે’ મેગા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકોએ વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો હતો.
કેમ્પનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ અવસરે વડોદરાના સાંસદ તથા ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. હેમાંગ જોષી, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, જીતુ આયરે, દીપક આયરે, રોનક આયરે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, કાઉન્સિલર સુરેખાબેન પટેલ, પૂર્વ કાઉન્સિલર મુકેશ દીક્ષિત, મહામંત્રી ઉમેશભાઈ, સામાજિક અગ્રણી શિવલાલ ગોયલ, પોસ્ટ વિભાગના SSP આર.બી. ઠાકોર સહિત આયરે પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ કેમ્પની મુલાકાત લઈ આયોજનની સરાહના કરી હતી.
આ મેગા કેમ્પમાં સુભાનપુરા, ગોત્રી અને ઈલોરાપાર્ક સહિતના વિસ્તારોના રહીશોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. શનિવાર તારીખ 3 જાન્યુઆરીના રોજ આયોજિત પ્રથમ દિવસે આધાર કાર્ડ અપડેટ, નિઃશુલ્ક નંબર ચશ્મા વિતરણ, હોમિયોપેથીક કેમ્પ, આશ્રમ કાર્ડ, પાન કાર્ડ, જી-કાંડ સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આગામી દિવસ તારીખ 4 જાન્યુઆરીના રોજ નાગરિકોના લાભાર્થે વિવિધ સરકારી યોજનાઓ હેઠળ આવકના દાખલા, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ, પાન કાર્ડ જેવી સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે સાથે વિધવા સહાય, સિનિયર સિટિઝન કાર્ડ તથા નિરાધાર વૃદ્ધ સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવશે. વધુમાં, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા ‘સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ’નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન દ્વારા સામાન્ય નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓ મળી રહે તેવા હેતુને સફળતાપૂર્વક સાકાર કરવામાં આવ્યો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

