ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ગણેશ મંડળોના આયોજકો, આગેવાનો અને સરકારી અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગણેશોત્સવની ઉજવણી શાંતિપૂર્ણ, પર્યાવરણને અનુકૂળ અને દેશભક્તિની ભાવના સાથે થાય તે માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન, કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ગણેશ મંડળોના પ્રતિનિધિઓને આ વર્ષે ગણેશોત્સવને ખાસ થીમ સાથે ઉજવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મંડળોએ ‘ઓપરેશન સિંદૂર’ અને ‘સ્વદેશી અપનાવો’ જેવી થીમ પર ભાર મૂકવો જોઈએ. આ પ્રકારની થીમથી લોકોમાં દેશપ્રેમ અને સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે આકર્ષણ વધશે. કલેક્ટરે મંડળોને સરકારી જાહેરનામાનું કડકપણે પાલન કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને પીઓપી (POP) ની મૂર્તિઓનો ઉપયોગ ટાળવા, કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ન કરવા અને વિસર્જન સમયે ફટાકડા ફોડવાથી દૂર રહેવાની અપીલ કરી હતી. પર્યાવરણનું રક્ષણ કરવા માટે આ નિયમોનું પાલન ખૂબ જરૂરી છે.
વિસર્જનની વ્યવસ્થા અંગે મોટી મૂર્તિઓ માટે ભાડભૂત ખાતે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જ્યારે, શહેરની અંદર નાના મંડળો માટે કૃત્રિમ કુંડો તૈયાર કરવામાં આવશે, જેથી વિસર્જનની પ્રક્રિયા સરળતાથી અને સ્વચ્છતાપૂર્વક પૂર્ણ થઈ શકે. આયોજન દરમિયાન વહીવટી તંત્ર દ્વારા શોભાયાત્રાના માર્ગોનું સમારકામ, લાઈટ અને સફાઈ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવશે. આ ઉપરાંત, ભરૂચ જિલ્લા પોલીસ, DGVCL અને વહીવટી તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંકલનપૂર્વક કામ કરશે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને ઈનચાર્જ એસપી અજયકુમાર મીણા સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

