વડોદરાની સંસ્કારી નગરીમાં આગામી ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ઉજવાશે એવા મહાશિવરાત્રીના પર્વને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના હૃદયસ્થાને આવેલા સુરસાગર તળાવમાં બિરાજમાન ૧૧૧ ફૂટ ઊંચી સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પાસે યોજાનારી મહાઆરતીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે.
વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર અને અધિક પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓએ તાજેતરમાં સુરસાગર તળાવની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થા, ભક્તો માટેની સુવિધાઓ, ટ્રાફિક સંચાલન અને ઇમરજન્સી પ્રતિભાવની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.
મહાઆરતી દરમિયાન હજારો ભક્તો ઉમટી પડે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ઉપરાંત, પરંપરાગત ‘શિવજી કી સવારી’ શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ સાંજે સુરસાગર તળાવ પહોંચશે, જેને લઈ માર્ગ વ્યવસ્થા અને ટ્રાફિક ડાયવર્ઝન અંગે તંત્ર દ્વારા અંતિમ તૈયારી કરવામાં આવી રહી છે.
નાગરિકોને કોઈ પ્રકારની અગવડ ન પડે તે માટે પાર્કિંગ વ્યવસ્થા, ભીડ નિયંત્રણ અને જાહેર સુચનાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર દ્વારા સોશિયલ મીડિયા તથા અન્ય માધ્યમો મારફતે ભીડભાડવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ પણ કરવામાં આવી છે.

