વડોદરા શહેરના પંચમુખી હનુમાનજી મંદિર નજીક, વાસણા-ભાયલી રોડ ચાર રસ્તા પાસે દબાણ શાખાની ટીમ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરીને દબાણ દૂર કરવામાં આવ્યું હતું. વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ પર અને ફૂટપાથ પર નાના-મોટા દબાણો વધી ગયા હતા, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ટ્રાફિક જામની સમસ્યા પણ વકરી હતી.આજે સવારે દબાણ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં રોડ પર મૂકેલી લારી-ગલ્લાં, પતરાના શેડ, કાચા પાકા દબાણો અને અન્ય અડચણરૂપ વસ્તુઓ દૂર કરવામાં આવી હતી.
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ આ કામગીરીને સહકાર આપ્યો હતો. દબાણ દૂર થતાં વાસણા-ભાયલી રોડ ચારરસ્તા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી થઈ છે અને રાહદારીઓ માટે પણ અવરજવર સરળ બની છે.ભવિષ્યમાં આવા દબાણો ફરી ન થાય તે માટે દબાણ શાખા દ્વારા નિયમિતપણે નિરીક્ષણ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

