વડોદરા શહેરના વોર્ડ નં. 11માં આવેલા ગોરવા વિસ્તારમાં શિવશક્તિ, જય ગણેશ અને જય અંબે સોસાયટીઓમાં લાંબા સમયથી પીવાના પાણીમાં ગંદકી આવતી હોવાની તેમજ ગટરો ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે. આ મુદ્દે આજે લોકસભા પ્રમુખ વીરેન રામીના નેતૃત્વમાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પ્રદર્શન દરમિયાન કાઉન્સિલર ચિરાગ બારોટ અને ધારાસભ્ય કેયુર રોકડીયાના પોસ્ટરો પર ગંદા પાણીનો જલાભિષેક કરવામાં આવ્યો હતો તેમજ માટલા ફોડી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ “હાય રે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ” અને “હાય રે ધારાસભ્ય કેયુર રોકડીયા” જેવા નારાઓ લગાવવામાં આવ્યા હતા.
પ્રદર્શનકારોએ ચીમકી આપી હતી કે જો આગામી દિવસોમાં ગંદા પાણીની સમસ્યાનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો વડોદરા મહાનગર પાલિકાના કમિશનર સમક્ષ પણ આ રીતે પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવશે. સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

