વડસર વણકરવાસના રહીશોનો બિલ્ડર વિરુદ્ધ પોલીસ કમિશનરને રજૂઆત; આમ આદમી પાર્ટીની આગેવાનીમાં સૂત્રોચાર
વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલા વણકરવાસના રહીશોએ બિલ્ડર વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. રહિશોના જણાવ્યા મુજબ બિલ્ડરના માણસો દ્વારા તેમને ધાક-ધમકીઓ આપવામાં આવી રહી છે, જેના કારણે વિસ્તારમાં તંગ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
આમ આદમી પાર્ટીના નેજા હેઠળ રહીશો પોલીસ ભવન ખાતે એકત્ર થયા હતા અને સૂત્રોચાર કરી ભાવનાઓ વ્યક્ત કરી હતી. રહીશોના જણાવ્યા મુજબ બિલ્ડરે કોઈ પૂર્વચેતવણી વિના સોસાયટીનો પ્રવેશ દ્વાર બદલી નાંખ્યો છે, જેના કારણે વણકરવાસના દૈનિક અવરજવર પર ગંભીર અસર પડી છે. વિસ્તારના રહેવાસીઓને વાહન વ્યવહાર અને સલામતી સંબંધિત મોટી હાલાકીઓ પડી રહી છે.
રહિશોનું કહેવું છે કે નવા બનાવેલા પ્રવેશ માર્ગ જોખમી છે અને બાળકો તેમજ વૃદ્ધોને આવન-જાવનમાં મુશ્કેલી સર્જાઈ રહી છે. બિલ્ડર સામે ધમકીઓના આક્ષેપોને કારણે લોકોમાં ભયનું વાતાવરણ પણ સર્જાયું છે.
વિશેષ એ છે કે ગઈકાલે પણ વણકરવાસના રહીશો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. છતાં સમસ્યા યથાવત રહેતા આજે તેઓએ પોલીસ કમિશનર પાસે સુરક્ષા અને ન્યાયની માંગ કરી છે.
રહિશોએ તાકીદે પ્રવેશ દ્વાર પુર્વવત કરવાની, ધમકીઓ અંગે કડક પગલાં લેવા અને બિલ્ડરની મનમાની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

