વડોદરા શહેરના માંજલપુર વિસ્તરમાં રહેતા ગીરીશકુમારની દીકરી હેતવી (ઉંમર : અંદાજે ૧ વર્ષ ૧૧ મહિના)ને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ લવાવવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન સવારે ચાર વાગ્યે અચાનક બાળકીનું મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
પરિવારે દીકરીની અંતિમવિધિ માટે હોસ્પિટલમાંથી દેહ સોંપવાની માંગ કરી હતી, પરંતુ હોસ્પિટલના ડોક્ટરોએ નિયમ મુજબ પોસ્ટમોર્ટમ જરૂરી હોવાનું જણાવ્યું હતું. પરિવાર પોસ્ટમોર્ટમ ન કરાવવા માંગતો હતો, જેને પગલે એમએલઓ દ્વારા પીએસઆઈ પાસેથી ‘પોસ્ટમોર્ટમ ન કરવાનું’ લખાણ લાવવા સૂચના આપવામાં આવી.
પરિવારે પીએસઆઈ પાસેથી જરૂરી લખાણ મેળવી હોસ્પિટલમાં રજૂ કર્યું, પરંતુ એમએલઓએ આ લખાણ માન્ય ન ગણતા તેમાં ખામી હોવાનું જણાવ્યું અને ફરીથી પીઆઈ પાસેથી નવું લખાણ લાવવાની વાત કરી. પરિવાર ફરીથી પીઆઈ પાસેથી લખાણ લઇ આવ્યો, પરંતુ હોસ્પિટલ તરફથી તેમાં પણ બે ટાઈમલાઇન ઉમેરવાની માંગણી કરાઈ હોવાનું પરિવારનો આક્ષેપ છે.
આ પ્રક્રિયાની અવરજવર વચ્ચે પરિવાર પોતાની બે વર્ષની દીકરીનું અંતિમ સંસ્કાર કરવા માટે હોસ્પિટલ તરફથી અંતિમ નિર્ણયની રાહ જોતો નજરે પડ્યો હતો.

