RBIની માર્ગદર્શિકા મુજબ લાંબા સમયથી બેન્ક શાખાનો સંપર્ક ન કરનાર ખાતેદારો માટે માંગરોળ શહેરની SBI ટાવરચોક શાખા તેમજ SBI લીમડાચોક શાખા દ્વારા માંગરોળ અને ઢેલાણા ગામે KYC અપડેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેન્કના બ્રાન્ચ મેનેજરે જણાવ્યું હતું કે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખુલેલા ખાતાઓનું KYC અપડેટ કરાવવાનો છે. RBIના નિયમ મુજબ જે ખાતાઓને દસ વર્ષ પૂર્ણ થયા હોય તે ખાતેદારો માટે ફરીથી KYC કરાવવું ફરજિયાત છે, જેના અનુસંધાને આ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં ખાતેદારોએ હાજરી આપી પોતાના દસ્તાવેજ રજૂ કરીને KYC પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી.
આ કેમ્પને સફળ બનાવવા SBI બેન્કના કર્મચારીઓ ઉપરાંત SBI ટાવરચોક શાખાના ચીફ મેનેજર દીપકકુમાર, SBI લીમડાચોક શાખાના બ્રાન્ચ મેનેજર ઝહીર અહેમદ તેમજ જુના કોટડા ગામના સરપંચ પ્રતિનિધિ નરસીંગભાઈ ખેર સહિત અનેક લોકોનો સહયોગ રહ્યો હતો.
બેન્ક તંત્ર દ્વારા આગળ પણ આવા જાગૃતિ અને સેવા કેમ્પ યોજવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.

