છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના કૂકાવટીથી વાઘીયામહુડા જવાના રસ્તે અશ્વિન નદી ઉપર બનેલા અંદાજિત 60 મીટરના લો લેવલ કોઝવેની 12 પાઇપો ભરાઈ ગઈ છે. જેથી અશ્વિન નદીમાં આવેલ પાણીને લઇ કોઝવેના સ્લેબ ઉપરનું વેરિંગ કોટ ધોવાઇ ગયું છે. વરસાદ પડે એટલે નદીમાં પાણી આવે તે કોઝવેની ઉપરથી પસાર થાય છે. જેને લઇ વેરિંગ કોટ વધુ પડતું ધોવાઈ ગયું છે. જેના કારણે હાલ વાહન ચાલકો હેરાન બન્યા છે.
નસવાડીથી ફક્ત બે કિલોમીટરના અંતરે આવેલ કૂકાવટી ગામમાં અવાર નવાર ઓછા વરસાદમાં પણ કોઝવે ઉપરથી પાણી પસાર થાય છે. કોઝવે ઉપર પાણી હોવાથી બાઈક સવાર તેમજ પગપાળા કોઝવે પસાર કરતા ગ્રામજનોને મુશ્કેલી પડે છે. વ્યવસ્થિત પાઇપ સફાઇ થાય તો પાણીનો નિકાલ થાય. કૂકાવટીથી વાઘીયા સીંધીકુવા તેમજ અન્ય ગામડાના લોકો, વિદ્યાર્થીઓ સૌ કોઇ હાલ તો હેરાન બન્યા છે. અશ્વિન નદીમાં સતત 2થી ત્રણ વાર પાણી આવ્યું હોવા છતાંય નસવાડી પંચાયત આર એન્ડ બીએ હજુ ધ્યાન આપેલ નથી. સરકાર કરંટ રિપેરિંગ તેમજ અન્ય કામગીરીને લઇ ગ્રાન્ટ આપતી હોવા છતાંય કોઇ ધ્યાન આપતું નથી. નસવાડી તાલુકા ડિઝાસ્ટર વિભાગ કોઝવેની સ્થળ મુલાકાત કરી કોઝવેના પાઇપની સફાઈ કરાવે તે જરૂરી બન્યું છે.

