મહારાજા, મહારાણી સહિત રાજવી પરિવારની ઉપસ્થિતિમાં પૂજા-આરતી થશે
રાજ્યમાં માત્ર વડોદરા ખાતે મહારાષ્ટ્રીયન સમાજના કૂળદેવતા શ્રી ખંડોબા મહારાજનું 232 વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરમાં છેલ્લાં 232 વર્ષથી ચંપાષષ્ઠીએ શ્રી ખંડોબા મહારાજના વિવાહ મ્હાળસા દેવી સાથે ધામધૂમથી કરવામાં આવે છે. દેવસ્થાન ટ્રસ્ટના સુપ્રસિદ્ધ પ્રાચીન શ્રી ખંડેરાવ મંદિરમાં 2 થી 7 ડિસેમ્બર સુધી પ્રસીધ્ધ ચંપાષષ્ઠી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહારાષ્ટ્રીયન સમાજના લોકો તેમજ ગાયકવાડી પરિવારના સભ્યો ભાગ લેશે. 6 ડિસેમ્બરે સાંજે 4:30 કલાકે આર.વી.દેસાઈ રોડ પર શ્રી બોલાઈ માતાના મંદિરેથી પીઠી લઈને ભક્તો શ્રી ખંડેરાવ મંદિરમાં જશે. સાંજે 4:30થી 6 પીઠીની વિધિ યોજાશે. 7 ડિસેમ્બરે સાંજે 5 કલાકે શ્રીજીનો પાલખીમાં વરઘોડો નીકળશે. જે ખંડેરાવ મંદિરે સાંજે 7:30 વાગ્યે પહોંચી શ્રીજીનો ‘શુભ મંગળ વિવાહ’ યોજાશે. જ્યાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, મહારાણી રાધિકારાજે ગાયકવાડ તથા રાજવી પરિવારની હાજરીમાં પુજન અને આરતી કરવામાં આવશે સાથે મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો શ્રી ખંડોબા મહારાજના વિવાહ મ્હાળસા દેવી ના લગ્નોત્સવમાં ઉમટી પડે છે.

